ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના જંબુરી ક્લસ્ટરના એકલેરા ગામમાં તા. ૨૮ જુલાઈના રોજ પ્રાકૃતિક કૃષિ તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં કોમ્યુનિટી રિસોર્સ પર્સન હેમલતાબેન પટેલ અને કૃષિ સખી પુષ્પાબેન ધોડીએ પ્રાકૃતિક ખેતી વિશે ખેડુતોને માહિતગાર કર્યા હતા.
પ્રાકૃતિક કૃષિ તજજ્ઞોએ ખેડૂતોને જણાવ્યું કે, પ્રાકૃતિક ખેતી એ કુદરતી રીતે ખેતી કરવાની એક પારંપરિક અને પર્યાવરણપ્રેમી પદ્ધતિ છે, જેમાં રાસાયણિક ખાતરો કે ઝેરી જંતુનાશકોના ઉપયોગ વગર, દેશી ગાયના ગૌમૂત્ર, છાણ, જીવામૃત અને બીજામૃત જેવા કુદરતી સ્રોતોથી પાક ઉગાડવામાં આવે છે. આ ખેતી જમીનની ઊર્વરકતા, પાણીની ઘટતી ઉપલબ્ધિ, જીવવિવિધતા અને ખેડૂતોના આરોગ્યનું સંરક્ષણ કરતી હોય છે, સાથે જ ખર્ચ ઓછો કરીને ઉપજની ગુણવત્તા અને નફો બંનેમાં વધારો કરે છે, જે ખેતીને આત્મનિર્ભર, સસ્તી, સુસ્થિર અને પર્યાવરણમૈત્રી બનાવે છે, એટલે કે, પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નહિ, પણ માનવી અને પ્રકૃતિ વચ્ચેનું સહઅસ્તિત્વ જાળવતી જીવંત જીવનશૈલી છે. ખેડૂતોએ પણ પ્રાકૃતિક ખેતીને લગતા કેટલાક મહત્વના પ્રશ્નો તજજ્ઞોને પૂછી સંતોષ મેળવ્યો હતો.
