વલસાડની પુરોહિત, ખોડિયાર, ક્રિષ્ના હોટલો સામે કાર્યવાહી

વલસાડ

કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમે 6445 એકમોમાં તપાસ કરતા 382માં ગેરરીતિ છતી થઈ

દુકાનદાર-વેપારીઓ પણ ગ્રાહકો પાસેથી છાપેલી મહત્તમ કિંમત કરતા વધુ કિંમત વસૂલતા પકડાયા

શ્રીખંડ પર રૂપિયા 10 અને દૂધ-છાશના પાઉચ પર રૂ. 1 વધુ લેવામાં આવતા હતા.

વલસાડ જિલ્લામાં ગ્રાહકોને લૂંટતા દુકાનદારો, વેપારી અને હોટલ સંચાલકો સામે કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં મહત્તમ કિંમત કરતા વધુ ભાવ વસૂલતા દુકાનદારો-વેપારીઓ અને મેનુ કાર્ડમાં વસ્તુનું વજન, માપ અને સંખ્યા ન દર્શાવનાર વલસાડની ખોડિયાર હોટલ, ક્રિષ્ના હોટલ, ગુજ્જુભાઈ રેસ્ટોરન્ટ અને પુરોહિત ઢાબા સામે પણ કાર્યવાહી કરાઈ હતી.
વલસાડ જિલ્લામાં ઉત્પાદકો અને પેકર દ્વારા દર્શાવવામાં આવેલી મહત્તમ વેચાણ કિંમત કરતા જુદી-જુદી વસ્તુઓ ઉપર વધુ ભાવ લેવા બાબતે મદદનીશ નિયંત્રક, કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીની કચેરી દ્વારા 6445 એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાંથી 382 એકમો સામે વિવિધ કાયદા અને નિયમોના ભંગ બદલ કાર્યવાહી કરી રૂ. 3,70,850નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સિવાય 23 એકમો સામે કાર્યવાહી પણ કરવામાં આવી હતી. મે 2022 દરમિયાન હાઈવે પર હોટલોની ચકાસણી કરતા પુરોહિત ઢાબા હોટલ, પારનેરા, વલસાડ, ગુજ્જુભાઈ રેસ્ટોરન્ટ, વલસાડ ખોડિયાર હોટલ અબ્રામા, વલસાડ અને હોટલ ક્રિષ્ના, અટકપારડી, વલસાડમાં તપાસ હાથ ધરી હતી. જેમાં હોટલના મેનુકાર્ડમાં વસ્તુનું વજન, માપ અને જથ્થો દર્શાવ્યો ન હતો. આ સાથે જ તીથલ રોડની ગોવા ડ્રાઈફ્રુટ સેન્ટર, સિવિલ રોડની મધુર બેકરી અને ફરસાણમાં ગેરરીતિ જણાઈ હતી. વલસાડની સૂર્યવંશી પ્રોવિઝન સ્ટોર સામે દુઘના પાઉચમાં રૂ. 1 વધુ ભાવ લેવા અંગે, વલસાડ સિવિલ રોડની રાધે ક્રિષ્ના બેકરી સામે શ્રીખંડના પેકેટ ઉપર રૂ. 5 વધુ લેવા અંગે, ધરમપુરના મોટા બજારની દિનેશ કોલ્ડ્રીંક્સમાં શ્રીખંડના પેકેટ ઉપર રૂ. 10 વધુ ભાવ લેવા અંગે તથા મનસુખભાઈ કે.ભાનુશાલીની દુકાનમાં દુધ,છાસના પેકેટ પર રૂ. 1 વધુ ભાવ લેવા અંગે ધી લીગલ મેટ્રોલોજી અક્ટ અન્વ્યે કુલ 10 એકમો સામે કાર્યવાહી કરી રૂ. 21,000 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા કચેરી વલસાડ દ્વારા માર્ચ 2022 સુધી વિવિધ એકમોના ચકાસણી મુદ્રાંકન કરી 1,17,74,164ની ફી વસૂલ કરાઈ હતી.
કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા વલસાડ વિભાગના મુખ્ય અધિકારી બી. ડી. વહીયા દ્વારા જણાવાયું કે, કોઈપણ વેપારી એકમ દ્વારા ઉત્પાદક કે પેકર દ્વારા દર્શાવેલી મહત્તમ વેચાણ કિંમત(એમઆરપી બધા કરવેરા સાથે) કરતા વધુ ભાવ લેવામાં આવતો હોવાનું જણાય તો કચેરીના ઈમેઈલ આઈડી aclm-vld@gujarat.gov.in તથા કચેરીનો ફોન નં. 248764 ઉપર ફરિયાદ કરી શકાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વેપારી એકમોએ તેઓના કાંટા-વજનો ઈલેકટ્રોનીક સ્કેલ રીપેરીંગ કાનુનીમાપ વિજ્ઞાન વિભાગના માન્ય દુરસ્તીકારો પાસે લાઈસન્સ નંબર સાથેનું પાકુ બીલ લઈ કરાવવા તેમજ આ વિભાગના લાઈસન્સ વગરના વ્યક્તિઓ પાસે કરાવવું નહીં.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!