ગુજરાત એલર્ટ । વલસાડ
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ સંદર્ભે ૨૬ – વલસાડ (એસ.ટી.) સંસદીય મતવિસ્તારની ચૂંટણી મુકત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય તે માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા વલસાડ બેઠક માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે તરણ પ્રકાશ સિહા(આઇ.એ.એસ.) અને પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રીનાથ મહાદેવ જોશી (આઇ.પી.એસ) ને નિયુકત કરવામાં આવ્યા છે.
૨૬- વલસાડ(એસ.ટી.) સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી સંદર્ભે જિલ્લા કલેકટર કચેરીના ત્રીજા માળે ઊભા કરવામાં આવેલા કંટ્રોલરૂમમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી તરણ પ્રકાશ સિંહા(આઇ.એ.એસ.), અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી શ્રીનાથ મહાદેવ જોશીએ આજરોજ તા. ૧૯ મી એપ્રિલના રોજ મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી તરણ પ્રકાશ સિંહા(આઇ.એ.એસ.) અને પોલીસ ઓબ્ઝર્વરશ્રી શ્રીનાથ મહાદેવ જોશીએ ચૂંટણી સંબધિત સી વીજીલ એપ પર આવતી ફરિયાદો, ચૂંટણીના હેલ્પલાઇન નંબર ૧૯૫૦ પર સામાન્ય માણસની ચૂંટણીલક્ષી સામાન્ય જાણકારીઓ માટે આવતી પૃચ્છા વગેરેની જાણકારી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી ઉમેશ શાહ અને ફરિયાદ નિવારણ અને વોટર હેલ્પલાઇનના નોડલ અને જિલ્લા આયોજન અધિકારી બી. જે. પટેલે આપી હતી. ચૂંટણી જાહેર થયા તા. ૧૬ મી માર્ચ, ૨૦૨૪ થી સી.વીજીલ એપ કાર્યરત કરી દેવામાં આવી હતી. સી. વીજીલ એપ પર તા. ૧૬ મી માર્ચ થી ગત તા. ૧૮ મી એપ્રિલ સુધી સામાન્ય નાગરિકો કરવામાં આવેલી ૩૨ ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે.
જિલ્લાની સ્થાનિક ચેનલ અને રીજીયોનલ ચેનલ પર આવતા ન્યુઝના મોનીટરીંગ માટેના એમ. સી. એમ. સી. કંટ્રોલરૂમના સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામકે એમ. સી. એમ. સી. કમિટી અંતર્ગત નિયુકત થયેલા સભ્યો અને આ કમિટી દ્વારા પેઇડ ન્યુઝ અને ઉમેદવારોના જાહેરાતના ખર્ચના નિયંત્રણમાં એમ. એમ. સી. કમિટીની ભૂમિકા અંગે વિગતે જાણકારી આપી હતી.