વલસાડ
તા. ૧૭/૦૬/૨૦૨૧ ના રોજ રાતના સાડા ૧૦ વાગ્યે જ્યારે વાપીના ગૌરક્ષક રાજેશ હસ્તીમલ શાહે ધરમપુરના પેટ્રોપપંપના માલિક એવાં ગૌરક્ષક હાર્દિક કંસારાને ફોન કરી ધરમપુર તાલુકાના બારસોલ ગામેથી ગૌતસ્કરી થવાની છે એવી જાણ કરી ત્યારે તેને સ્વપ્નેય ખ્યાલ ન હતો કે ગૌતસ્કરોને પકડવાની આ રેસ અંતિમ રેસ બની રહેશે. ડીએસપી ડૉ. રાજદીપસિંહ ઝાલા સાથે થયેલી વાતચીત મુજબ હાર્દિક કંસારા સાથે જે ઘટનાક્રમ બન્યો હતો તેના અંશો નીચે મુજબ છે.
ધરમપુરના બારસોલ ગામે ક્રેટા ગાડીમાં આવી પહોંચેલા રાજેશભાઇ શાહને એમ લાગ્યું કે આ ગૌતસ્કરો ભાગી જશે પરિણામે તેમણે હાર્દિક કંસારાને ફોન કરવાનું મુનાસીબ માન્યું. તેમણે ટાટા ટેમ્પો નં. MH – 04 – FD – 2714 માં ગાયો ભરી ટેમ્પો વલસાડ તરફ ભાગી ગયો છે તેને પકડવો પડશે એવું હાર્દિકભાઇને તથા અન્ય ગૌરક્ષક વિમલભાઇ ભરવાડ અને આકાશભાઇ જાનીને જણાવ્યું હતું. પરિણામે પળવારની પણ રાહ જોયાં વિના હાર્દિકભાઈ તથા અન્ય ગૌરક્ષકો XUV કારમાં બેસી ટેમ્પાની પાછળ પડી ગયાં હતાં. ગૌતસ્કરોને તેમનો પીછો કરાતો હોવાનો ખ્યાલ આવી જતાં ટેમ્પો ધરમપુરથી જુજવા થઇ ધરમપુર ચાર રસ્તાથી ડુંગરી તરફ ભગાવ્યો હતો. આ દરમિયાન પોલીસ કર્મચારીઓ પણ સરકારી બોલેરો કારમાં ટેમ્પોની પાછળ પડી ગયાં હતાં. તસ્કરોએ પકડાઈ જવાની બીકે સોનવાડા ગામે નેશનલ હાઇવે પર પટેલ ચિકન ધાબા પાસેથી યુ ટર્ન મારી પરત વલસાડ તરફ ટેમ્પો ભગાવ્યો હતો. આ દરમિયાન હાર્દિક કંસારાની XUV, રાજેશભાઈની ક્રેટા તથા પોલીસની ગાડી ટેમ્પો પાછળ આવી રહી હતી. અહીં જ હાર્દિક કંસારાએ જે ભૂલ કરી તે તેનાં મોતનું કારણ બની ગઈ હતી. બાલાજી વેફર્સ કંપની સામેના રોડ પર શંકરતળાવ , બામખાડીના પુલ પાસે હાર્દિકએ પોતાની કાર ટેમ્પોથી આગળ લઈ જઈ કાર આડી સ્ટોપ કરી ટ્રાફીક બ્લોક કરાવી ટેમ્પો રોકવાની કોશિષ કરી હતી. અને ગભરાયેલાં ટેમ્પા ચાલકે કંઈ પણ વિચાર્યા વિના વાહનને ટક્કર મારી દીધી હતી. જેમાં હાર્દિક કંસારાનું મોત નીપજ્યું હતું. બનાવ બનવા પહેલાં પોલીસની ગાડી પણ પાછળ જ હતી. પોલીસની બીજી ગાડીઓ પણ કોન્ટેક્ટમાં હતી અને કોઈ પણ સંજોગોમાં ગૌતસ્કરોને પકડી જ લેત. હાર્દિકે ફક્ત ટેમ્પાનો પીછો ચાલુ રાખવાનો હતો. ટેમ્પાની પાછળ પાછળ ચાલી તેનું લોકેશન જ ધ્યાનમાં રાખવાનું હતું. પરંતુ તેણે ટેમ્પાને ઓવરટેક કરી જાતે ટ્રાફિક બ્લોક કરવાની કરેલી કોશિશ જિંદગીની સૌથી મોટી ભૂલ બની ગઈ હતી. જો આ ભૂલ ન કરી હોત તો હાર્દિક આજે જીવિત હોત અને ભવિષ્યમાં કંઈ કેટલાં ગૌવંશોના જીવ બચાવી શકયા હોત. વાપીના ગૌરક્ષક રાજેશ શાહે ભૂતકાળમાં ગૌતસ્કરોને પકડવા ક્યારેય ગૌવંશ ભરેલાં વાહનોને અટકાવવાનો પ્રયાસ કર્યો નથી. ગૌતસ્કરી મામલે વલસાડ જિલ્લા પોલીસ ખૂબ જ સંવેદનશીલ હોવાનું જિલ્લા પોલીસ વડા ડૉ. રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું, ક્યારેય પણ આવી ભૂલ ન કરવાં તેમણે ગૌરક્ષકોને અપીલ કરી હતી.
પોલીસે આ ઘટનામાં કોને કોને પકડ્યા?
(૧) અસગર ઉર્ફે માકીયા S/O અબ્દુલગફાર અન્સારી, રહે.ભીવંડી, (ગણેશપુરી પો.સ્ટે. મહારાષ્ટ્ર ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે) (૨) જાવેદ મહંમદનબી શેખ રહે. ભીવંડી, મહારાષ્ટ્ર (ઉમરગામ પો.સ્ટે ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે) (૩)અન્સાર ગુલામ શેખ રહે.અતુલ, તા.જી.વલસાડ (૪) અલીમુરાદ S/O જમાલ આડીસર, રહે.વાંકલ, ભેખલા ફળીયા, તા.જી.વલસાડ, (૫) જમીલ S/O સલીમ શેખ રહે.ભીવંડી, મહારાષ્ટ્ર, (તલાસરી પો.સ્ટે., મહારાષ્ટ્ર ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે)
(૬) ખલીલ સલીમ શેખ રહે.ભીવંડી, મહારાષ્ટ્ર (માનીકપુર પો.સ્ટે, વસઇ, મહારાષ્ટ્ર ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે) (૭) ધર્મેશ ઉર્ફ ફતા સમકભાઇ આહીર, રહે.બારસોલ, પટેલ ફળીયા, તા.ધરમપુર, જી.વલસાડ (૮) કમલેશ રામાભાઇ આહીર, રહે.બારસોલ, આહીર ફ. તા.ધરમપુર, જી.વલસાડ (૯) જયેશભાઇ રવલાભાઇ આહીર, રહે.બારસોલ, તા.ધરમપુર જી.વલસાડ (૧૦) હસન S/O નઝીર આલીસર, રહે.વાંકલ, ભેખલા ફળીયા, તા.જી.વલસાડ (ઉમરગામ પો.સ્ટે. ખાતે પશુની હેરાફેરીમાં પકડાયેલ છે)
ગૌતસ્કરી કરી કેટલાં રૂપિયા કમાતા હતા આ તસ્કરો?
પોલીસે આરોપીઓની પુછપરછ કરતા પકડાયેલાં આરોપીઓ પૈકી અન્સાર અલી તથા ઝાકીર અલ્લારખુ શેખ ગાય, ભેંસ તબેલાવાળા પાસેથી એક ગાય સરેરાશ રૂ. ૫ થી ૬ હજારમાં ખરીદ કરી જમીલ શેખ વિગેરેને રૂ. ૭ થી ૮ હજારમાં વેચતા હતા. અતુલ ખાતે રહેતા અન્સાર શેખ તથા ધુમાડીયા ફળીયાનો ઝાકીર અલ્લારખુ શેખ બન્ને મળી ધરમપુર, પારડી અને વલસાડ તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારમાંથી પશુઓના ખરીદ વેચાણ કરનાર અલીમુરાદ, મીરખાન, અકબર આલીશર (ત્રણેય રહે . વાંકલ) તથા રાજુ આહિર (રહે.બારસોલ) પાસેથી ગાય અને બળદની ખરીદી કરી બારસોલના કમલેશ આહિર, જયેશ આહિર તથા વાંકલના હસન કાદરીના ટેમ્પો મારફતે હેરફેર કરી બારસોલના ધર્મેશ ઉર્ફે ફતા આહિરના ખેતરમાં પશુઓ એકઠા કરી અનસાર, ગુલાબ અને ઝાકીર શેખ ભીવડીના જાવેદ શેખના ટેમ્પો મારફતે ભીંવડી ,નાશિક અને અહમદનગર જીલ્લામાં જમીલ શેખ શહિદ ઉર્ફ અન્ના શેખ તથા ખલીલ શેખ મારફતે વેચાણ કરતાં હતાં.
ગૌતસ્કરોને ઝડપવાનાં ઓપરેશનમાં કોણ કોણ સામેલ હતું?
ગૌરક્ષકનું મોત થવાનાં બનાવને વલસાડના ડીએસપી રાજદીપસિંહ ઝાલાએ ખૂબ જ ગંભીરતાથી લઇ ટીમની રચના કરી હતી. જે ટીમમાં વી. બી. બારડ (પોલીસ ઇન્સ્પેકટર,એસ. ઓ. જી.), વી. જી. ભરવાડ, (પોલીસ ઇન્સ્પેકટર, વાપી જી.આઇ.ડી.સી.), સી. એચ. પનારા,(ઇ.ચા. પો. ઇન્સ. એલ. સી. બી.) ,કે. જે. રાઠોડ, (પો. સ. ઇ. એસ. ઓ. જી), કે. એમ. બેરીયા,(પો.સ.ઇ. એલ. સી. બી.), એલ. જી. રાઠોડ, (પો.સ.ઇ. એસ.ઓ.જી.), જે. એસ. રાજપુત (પો. સ. ઇ. ડુંગરી), એ. જે. રાણા, (પો. સ. ઇ. વલસાડ રૂરલ), એ. કે. દેસાઇ (પો. સ. ઇ. ધરમપુર), ડી. આર. ભાદરકા,(પો. સ. ઇ. કપરાડા), બી. એચ. રાઠોડ, (પો. સ. ઇ. ભિલાડ) તથા અન્ય પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરાયો હતો. ગૌ તસ્કરોને ખૂબ જ ટૂંકા ગાળામાં ઝડપવાનું ઓપરેશન આ ટીમે પાર પાડયું હતું.