નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ મર્યાદિત સમયમાં સફળતા વરસાવવાની છેઃ હાઇકમાન્ડે એની પસંદગી કરી અનેક મેસેજ આપ્યા
ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી પદેથી શ્રી વિજયભાઇ રૂપાણીના રાજીનામા બાદ ભાજપ હાઇકમાન્ડે અમદાવાદ ઘાટલોડિયાના ધારાસભ્ય શ્રિ ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરીને આશ્ચર્યા સાથે અનેક મેસેજ આપ્યા છે. ભાજપ માટે નેતૃત્વ પરિવર્તનનો પ્રયોગ આશાસ્પદ હોવા ઉપરાંત જોખમાંથી મુકત નથી. નવા મુખ્યમંત્રી માટે અનેક પડકારો મો ફાડીને ઉભા છે. ર૦રર ની ધારાસભાની ચૂંટણી નજીક છે તે પૂર્વ તેમણે પડકારોમાં ગડગડાટ વચ્ચે આશાના વાદળોમાંથી સફળતા વરસાવવાની છે.
શ્રી ભુપેન્દ્ર પટેલની પસંદગીથી ભાજપને પાટીદાર મતનો લાભ થાય તે સ્વાભાવિક છે. કેન્દ્રમાં બે કેબીનેટ મંત્રીઓ ઉપરાંત હવે રાજયના મુખ્યમંત્રી પણ પાટીદાર થયા છે. ભાજપ ગાજતા નામો સિવાઇ ગમે તેને મહત્વનું પદ આપી શકે છે તે હાઇકમાન્ડે સિધ્ધ કરી દીધુ છે. શ્રી ભુપેન્દ્ર પટેલની કોરી પાટી છે. તેમની સ્વચ્છ પ્રતિભા અને વહીવટી આવડતનો રાજયને લાભ મળશે. ધારાસભ્ય તરીકે પ્રથમ વખત જ ચૂંટાયા છે પણ કોર્પોરેશન અને ઔડામાં વહીવટી કામગીરીનો અનુભવ છે.
શ્રી ભુપેન્દ્ર પટેલ માટે અંદર બહાર બન્ને તરફથી મોટા પડકારો છે. સૌથી પહેલા મંત્રી મંડળની રચનામાં તેમની કસોટી થશે. વહીવટને નવુ જોમ આપવાનું છે. કોરોના ની ત્રીજી લહેરનો ભય હજુ ઝળુંબે છે. આમ આદમી પાર્ટીનો વિકાસ થઇ રહ્યો છે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર જેવી સમસ્યાનો છે જ. શ્રી ભુપેન્દ્ર પટેલના આગામી પગલાઓ પર રાજયની મીટ છે.