ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં ગોઈમા ગામમાં આત્મા પ્રોજેક્ટ દ્વારા કિસાન ગોષ્ઠી તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના સાયન્ટીસ ડો. નિરવ ગાજરે એ પ્રાકૃતિક ખેતી કેમ કરવું જોઈએ, પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતને થતા ફાયદા અને રાસાયણિક ખાતરથી ખેડૂતો અને ખેતરને શું નુકસાન થાય છે એના વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી હતી.
ગ્રામ સેવક સ્નેહલબેન પટેલ દ્વારા પ્રાકૃતિક ખેતીમાં રોગ જીવાત નિયંત્રણ કેવી રીતે કરવું તે અંગે ઉપયોગી વિવિધ અસ્ત્રો વિશે સમજણ આપવામાં આવી હતી. આ અસ્ત્રો આપણે કેવી રીતે તૈયાર કરી શકીએ અને કેટલા પ્રમાણમાં એનો છંટકાવ કરવો જોઈએ એના વિશે માહિતી આપી હતી. આ સિવાય પ્રાકૃતિક ખેત પેદાશોનું મૂલ્યવર્ધન કેવી રીતે કરવું જોઈએ અને ખેત પેદાશોના વેચાણ વ્યવસ્થા વિશે ખેડૂતોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના સોહિલ ગાવીત, આત્મા સ્ટાફ હેમાક્ષીબેન ટંડેલ અને સરપંચ જ્યોતિબેન પી. પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતોએ કાર્યક્રમમાં હાજરી આપી હતી.
