ઉમરગામમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ અસરગ્રસ્તોની મુલાકાત લીધી, તાત્કાલિક સહાય ચૂકવવા અધિકારીઓને સૂચના આપી: ભીલાડ, સાતનાળા અને ધોડીપાડામાં વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરી વહીવટી તંત્રને ઝડપથી સર્વે પૂર્ણ કરવા તાકીદ કરી

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ઈતિહાસમાં ચોમાસા દરમિયાન માત્ર એક દિવસમાં સૌથી વધુ ૪૨.૫૬ ઈંચ ધોધમાર વરસાદ પડતા ઉમરગામ તાલુકામાં અનેક ગામોમાં ભારે ખાનાખરાબી સર્જાઈ હતી, જેને પગલે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી આજરોજ શુક્રવારે ઉમરગામ તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે આવી પહોંચ્યા હતા. નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમરગામના વિવિધ વિસ્તારોની મુલાકાત દરમિયાન વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કરી વહીવટી તંત્રને ઝડપથી સર્વે પૂર્ણ કરી અસરગ્રસ્તોને સમયસર સહાય પહોંચાડવા સૂચનાઓ આપી હતી.

નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર અને પારડી પ્રાંત અધિકારીશ્રી નિરવ પટેલ પાસેથી તાલુકાની સમગ્ર સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. આ સાથે ભીલાડ, સાતનાળા અને ધોડીપાડા સહિતના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકો સાથે લાગણીસભર વાતચીત કરી પૂરની ભયાનકતાનો તાગ મેળવ્યો હતો. તેમણે અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સરકાર તરફથી સહાય મળી રહે તે માટે ઉપસ્થિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. આ સાથે જ ખેડૂતો, પશુપાલકો તથા વરસાદથી અસર પામેલા તમામ પરિવારોને સરકારની યોજનાઓ હેઠળ યોગ્ય અને સમયસર સહાય મળે તે માટે સંબંધિત વિભાગોને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.

નાયબ મુખ્યમંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન વલસાડ-ડાંગના સાંસદશ્રી અને લોકસભાના દંડકશ્રી ધવલભાઈ પટેલ, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઈ કંસારા સહિત આગેવાનો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!