અટાર અને પારનેરા ગામની શાળાઓમાં 250 વૃક્ષોનું વાવેતર; અતુલ ફાઉન્ડેશનનું 2 લાખ વૃક્ષો વાવવાનું મહાઅભિયાન

ગુજરાત એલર્ટ | વલસાડ
પર્યાવરણ સંરક્ષણ અને આગામી પેઢીને હરિયાળું ભવિષ્ય આપવાના સંકલ્પ સાથે અતુલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ‘સંજીવની 2026’ વૃક્ષારોપણ અભિયાન અંતર્ગત અટાર અને પારનેરા ગામની શાળાઓમાં કુલ 250 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
અતુલ ફાઉન્ડેશન દ્વારા તા. 15 જુલાઈથી 30 જુલાઈ, 2026 દરમિયાન ‘સંજીવની 2026’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન હેઠળ વિવિધ સ્થળોએ કુલ 2 લાખ વૃક્ષો વાવવાનું મહત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે.
અભિયાન અંતર્ગત અટાર ગામની P.K.D. વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓની સહભાગિતાથી શાળા પરિસરમાં 100 વૃક્ષો વાવવામાં આવ્યા હતા. જ્યારે પારનેરા સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે ટ્રસ્ટીશ્રી, આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી સાથે 150 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
બંને શાળાઓમાં થયેલા કુલ 250 વૃક્ષોના વાવેતર દરમિયાન અતુલ કંપનીના જનરલ મેનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક વૃક્ષારોપણમાં ભાગ લઈ પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો.

‘સંજીવની’ માત્ર વૃક્ષો વાવવાનું અભિયાન ન રહેતા વિદ્યાર્થીઓમાં વૃક્ષોનું મહત્વ, પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અને પર્યાવરણની જાળવણીની જવાબદારી અંગે જાગૃતિ કેળવવાનું માધ્યમ બની રહ્યું છે. શાળા પરિસરમાં વાવવામાં આવેલા વૃક્ષો ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે હરિયાળું અને સ્વચ્છ વાતાવરણ ઊભું કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
અતુલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે યોજાતો ‘સંજીવની’ કાર્યક્રમ પર્યાવરણ સંરક્ષણ, હરિયાળી વધારવા અને ટકાઉ જીવનશૈલીને પ્રોત્સાહન આપવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ બની રહ્યો છે.
અતુલ ફાઉન્ડેશને સૌને વધુમાં વધુ વૃક્ષો વાવવા સાથે વાવેલા વૃક્ષોનું જતન કરવાની પણ અપીલ કરી છે, જેથી સામૂહિક પ્રયાસોથી સ્વચ્છ, હરિયાળું અને સ્વસ્થ પર્યાવરણનું નિર્માણ કરી શકાય.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!