ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ‘પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર-PSVTC’ની મુલાકાત લઈ તાલીમાર્થી વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરી હતી. સાથોસાથ પ્રમુખસ્વામી મહારાજની જન્મજયંતીના ઉપલક્ષ્યમાં વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર દ્વારા મુખ્યમંત્રીશ્રીનો અભિવાદન સમારોહ યોજાયો હતો.
આદિજાતિ વિભાગ સાથે ‘પ્રમુખસ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર’નું PPP મોડથી જોડાણ કરવામાં આવ્યું હતું, જે સંદર્ભે મુખ્યમંત્રીશ્રીના હસ્તે જનભાગીદારી સાથેના જોડાણનું પ્રમાણપત્ર PSVTCના આચાર્ય અને સંતવર્યોને અર્પણ કરાયું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પૂ. પ્રમુખ સ્વામી મહારાજે શાંતિ, પ્રેમ, કરૂણાના સદ્દગુણોનો ત્રિવેણી સંદેશ સમગ્ર વિશ્વમાં ફેલાવ્યો છે. એટલું જ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયે ભારતીય ઋષિ સંસ્કૃતિને બચાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે. વર્ષોથી યુવાનોને વ્યસનમુક્ત અને સુસંસ્કારી સાથે આત્મનિર્ભર બનાવવાનું મહાઅભિયાન ચલાવનાર સ્વામિનારાયણ સંપ્રદાયની સરાહના કરી હતી.

કૌશલ્ય, નવીનતા અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. ભારતના યુવાનોમાં આ ત્રણેય ગુણો અને ક્ષમતા છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ આપણો યુવાન સ્કીલ, વિલ અને ઝિલના બળે પથ્થરમાંથી પાણી કાઢી શકવા સમર્થ છે એમ ગૌરવથી કહ્યું હતું.
બે દશક પહેલા અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટામાં એક પણ સાયન્સ કોલેજ ન હતી, જ્યારે આજે છેલ્લા બે દશકમાં બે ડઝન સાયન્સ, આર્ટસ અને કોમર્સ કોલેજ કાર્યરત છે. આજે આ વિસ્તારમાં શિક્ષણ, સુવિધાઓ, યોજનાઓ અને આર્થિક ગતિવિધિઓનો વ્યાપ નિરંતર વધી રહ્યો છે એમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં ૮ અતિ આધુનિક વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર પી.પી.પી. મોડ દ્વારા સેટ-અપ કરવામાં આવ્યાં છે તેમજ ત્રણ લાખથી વધુ આદિવાસી યુવાનોને આવા વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર, આઈ.ટી.આઈ. અને કે.વી.કે. દ્વારા તાલીમ અને પ્લેસમેન્ટ મળ્યા છે. આદિજાતિ વિસ્તાર ધરમપુરમાં કાર્યરત પ્રમુખ સ્વામી વોકેશનલ ટ્રેનિંગ સેન્ટર તેનું ઉત્તમ ઉદાહરણ હોવાનું ઉમેર્યું હતું.

તેમણે કહ્યું કે, શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ડિગ્રી આધારિત નોકરીની આશામાં નિર્ભર રહેવાને બદલે યુવાનોને સ્કિલ ડેવલપમેન્ટનો માર્ગ ચીંધ્યો છે, આ નવતર માર્ગ પર ચાલીને લાખો યુવાનોને કુશળ અને કાર્યક્ષમ બન્યા છે. ધરમપુર PSVTCમાં ૩૦ જેટલા વિવિધ ટ્રેડ્સ કાર્યરત છે. જેમાંથી આ સંસ્થાની શરૂઆતના ત્રણ વર્ષમાં જ તાલીમ પામેલા ૫૦૦થી વધુ યુવાનોને રોજગારી મળી છે.
મુખ્યમંત્રીશ્રીએ સ્વદેશી અપનાવી આત્મનિર્ભર બનવાનો અનુરોધ કરી જણાવ્યું કે, વડાપ્રધાનશ્રીએ વિકસિત ભારત@ 2047 ના નિર્માણ માટે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતનો કોલ આપ્યો છે. આપ સૌના સહયોગથી આ સંકલ્પ પૂર્ણ થઈને જ રહેશે.
સરકારે શિક્ષણ, આરોગ્ય, રોજગારી અને આર્થિક વિકાસના ક્ષેત્રે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકીને આદિજાતિઓ સમાજના ઉત્થાન અને વિકાસ માટે પ્રતિબદ્ધતા દાખવી છે એમ નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલે કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ તેમના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન આદિવાસી સમાજના વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અમલમાં મૂકી, જેના પરિણામે આદિવાસીઓનો સર્વાગી વિકાસ શક્ય બન્યો છે. આદિવાસી સમાજના યુવાનો પાયલોટ, ડોક્ટર, એન્જિનિયર બની શકે તે માટે રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. સરકારની સહાયથી આદિવાસી સમાજના યુવાનો પાયલોટ બની આકાશ સર કરી રહ્યા છે.
આ પ્રસંગે સાંસદ શ્રી ધવલ પટેલ, CMO સેક્રેટરી વિક્રાંત પાંડે, ધારાસભ્ય અરવિંદ પટેલ, તીથલ BAPSના કોઠારી સ્વામી પૂ. વિવેક સ્વરૂપજી, પૂ. ચિન્મય સ્વામી, કલેક્ટર ભવ્ય વર્મા, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા સહિત અગ્રણીઓ, વિદ્યાર્થીઓ, નગરજનો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
