રાજ્યના આઠ જિલ્લાના આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ કર્યો આત્મીય સંવાદ

ગુજરાત એલર્ટ । વલસાડ
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં ધરમપુરના શ્રીમદ્ રાજચંદ્ર મિશનના રાજ સભાગૃહમાં પીએમ-જનમન કાર્યક્રમ હેઠળ રાજ્યના આઠ જિલ્લામાંથી પધારેલા આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીએ આર્થિક વિકાસ માટે સશક્ત બનવા માટે સ્કિલ ડેવલપ કરવા આહ્વાન કર્યું હતું. વધુમાં તેમણે સરકાર દ્વારા આદિમજૂથોના વિકાસ માટે પીએમ જન મન અભિયાન હેઠળ યોજનાકીય લાભો લેવા સૌને પ્રોત્સાહિત કર્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિશ્રીએ આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે પી.એમ. જનમન પહેલ અને તેના થકી પ્રાપ્ત યોજનાકીય લાભો અંગે લાભાર્થીઓને પૃચ્છા કરી હતી.

આ પ્રસંગે રાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં ૧ કરોડથી વધુ આદિવાસી બંધુઓ છે, જેમાંથી દોઢ લાખ આદિમજૂથમાં સમાવિષ્ટ છે. ત્યારે અહીં ઉપસ્થિત અદિમજૂથમાંથી કેટલા લોકો પોસ્ટ ગ્રેજ્યુએટ, ગ્રેજ્યુએટ, મેટ્રિક અને નોન મેટ્રિક પાસ છે તેમજ કેટલા લોકો નોકરી કરે છે, રાજકારણમાં છે તે અંગે પૃચ્છા કરી જણાવ્યું કે, સરકાર આવાસ, પાણી, વીજળી, સ્કૂલ, દવાખાના સહિતની બધી જ સુવિધા આપવા તૈયાર છે, ત્યારે તમારે પણ જાગૃતિ દાખવવાની જરૂર છે. કોઈ પણ લાભાર્થી સરકારની યોજનાના લાભથી વંચિત ન રહે તે માટે જાગૃત બનવાનું છે. તમારે તમારા બાળકોને ભણાવવાના છે, શિક્ષિત બનાવવાના છે.
તેમણે ઉમેર્યું કે, આર્થિક વિકાસ માટે સશક્ત બનવા સ્કિલ ડેવલપ કરવાની જરૂર છે. સ્કીલથી જ આત્મનિર્ભર બની શકાશે. આપણે એટલા સક્ષમ બનવું જોઈએ કે કોઈના પર નિર્ભર ન રહીએ. સરકાર વ્યાજ વગરની લૉન આપે છે, તમારે વિચાર કરવાનો છે કે, હું શું કઈક નવું કરી શકું. તમે આગળ વધશો તો દેશ પણ આગળ વધશે અને સશક્ત ભારતનું નિર્માણ થશે. વિકસિત ભારતના નિર્માણમાં દરેક નાગરિકનું યોગદાન મહત્વનું છે. વધુમાં રાષ્ટ્રપતિશ્રી એ હું તમારા બધામાંથી જ એક છું એમ કહી જણાવ્યું કે, ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ, સબકા વિશ્વાસ’નો નારો હું સફળ થતો જોઈ રહી છું.

આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડો. કુબેરભાઈ ડિંડોરે જણાવ્યું કે, આઝાદીના ૭૫ વર્ષ બાદ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસી બાંધવોના સર્વાંગી વિકાસ માટે પીએમ જન મન અભિયાન શરૂ કરાવ્યું છે. વડાપ્રધાનશ્રીએ દેશને વિકસિત ભારતમાં પરિવર્તિત કરવા માટે સંકલ્પ લીધો છે. જે માટે પીએમ જન-મન મહાઅભિયાન તરીકે શરૂ કરાયું છે. આદિવાસીઓના કલ્યાણ માટે બજેટ છ ગણું વધારાયું છે. આ અભિયાન થકી સરકાર ખુદ આદિવાસી ભાઈઓ બહેનોના ઘર સુધી પહોંચી છે. આપણે ‘જન મન’ ગાઈએ છીએ ત્યારે ભારતનું જન-મન આ અભિયાનથી વાસ્તવમાં જાગી ઉઠશે. લોકોના ચહેરા પર મુસ્કાન એ જ સફળતાનું પ્રમાણપત્ર છે.
રાજ્યના આદિજાતિ વિભાગના અગ્ર સચિવ ડો.એસ. મુરલીક્રિષ્નને પીએમ જન મન અભિયાન હેઠળ રાજ્યમાં થયેલી કામગીરીની રુપરેખા આપી હતી. આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતા વારલી પેઇન્ટિંગથી રાષ્ટ્રપતિશ્રી અને રાજ્યપાલશ્રીનું અભિવાદન કરાયું હતું. વલસાડ,નવસારી, ડાંગ, સુરત, તાપી, નર્મદા, અમદાવાદ અને ગીર સોમનાથ જિલ્લાના આદિમ જૂથના કોટવાળિયા/ કોલચા-કોલધા, કાથોડી, પઢાર અને સીદી સમુદાયના કુલ ૨૨૦ લાભાર્થીઓ સાથે રાષ્ટ્રપતિશ્રીએ સંવાદ કર્યો હતો. તેમની સાથે આ સંવાદ કાર્યક્રમમાં સહકાર, મીઠા ઉદ્યોગ, છાપકામ અને લેખનસામગ્રી, પ્રોટોકોલ (તમામ સ્વતંત્ર હવાલો), લઘુ, સુક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ, નાગરિક ઉડ્ડયન વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા.

વિવિધ જિલ્લાના આદિમ જૂથના ૨૨૦ લાભાર્થીઓ સંવાદમાં જોડાયા

પીએમ-જનમન કાર્યક્રમ અંતર્ગત રાજ્યના આઠ જિલ્લામાંથી પધારેલા આદિમજૂથ સમુદાયના લાભાર્થીઓ તેમજ સ્થાનિક આદિવાસી સમુદાયોના પ્રતિનિધિઓ સાથે રાષ્ટ્રપતિશ્રીએ આત્મીય સંવાદ સાધ્યો હતો. આદિમ જૂથના લાભાર્થીઓમાં વલસાડ જિલ્લાના કોટવાળિયા/ કોલચા-કોલધા સમુદાયના ૫૦ લાભાર્થીઓ, નવસારી જિલ્લાના કોટવાળિયા/ કોલચા-કોલધા સમુદાયના ૨૫ લાભાર્થીઓ, ડાંગ જિલ્લાના કોટવાળિયા સમુદાયના ૨૦, સુરત જિલ્લાના કોટવાળિયા સમુદાયના ૨૫, તાપી જિલ્લાના કોટવાળિયા/કાથોડી/ કોલચા-કોલધા સમુદાયના ૨૫, નર્મદા જિલ્લાના કોટવાળિયા/કોલચા-કોલધા સમુદાયના ૨૫, અમદાવાદ જિલ્લાના પઢાર સમુદાયના ૨૫ અને ગીર સોમનાથ જિલ્લાના સીદી સમુદાયના ૨૫ મળી કુલ ૨૨૦ લાભાર્થીઓ સાથે રાષ્ટ્રપતિશ્રીએ સંવાદ કર્યો હતો.

આયુષ્યમાન કાર્ડ ન હોત તો હું મારી પત્નીનો જીવ બચાવી શક્યો ન હોત: લાભાર્થી મુસ્તાક મન્સુર
રાષ્ટ્રપતિશ્રી સાથેના સંવાદ કાર્યક્રમમાં ગીર સોમનાથના તાલાલાના આદિમજૂથના લાભાર્થી મુસ્તાક મન્સુરે જણાવ્યું કે, મારા 3 બાળકો આદિવાસી આશ્રમશાળામાં અભ્યાસ કરી રહ્યા છે તેઓને શિષ્યવૃતિ અને ગણવેશ પણ મળે છે. મારી પત્નીને કેન્સર થયુ હતું રાજકોટની હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડથી બે વાર ફ્રી માં ઓપરેશન થતા હું મારી પત્નીને બચાવી શક્યો છું. મારી આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે, જો આયુષ્યમાન કાર્ડ ન હોત તો હું મારી પત્નીને બચાવી શક્યો ન હોત. અત્યારે મારી પત્ની સ્વસ્થ છે. જે બદલ હું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર માનું છું.

હવે ધુમાડાના કારણે સ્વાસ્થ્ય પણ ખરાબ થતું નથી અને સમય પણ બચે છે:લાભાર્થી ચંદ્રિકા કોટવાળીયા
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાચ ગામના લાભાર્થી ચંદ્રિકા કમલેશભાઈ કોટવાળીયાએ જણાવ્યું કે, મારા ઘરમાં સાત સભ્યો છે. પહેલા અમે જંગલમાંથી લાકડા લાવી રસોઈ કરતા હતા. ધુમાડાના કારણે અમારા સ્વાસ્થ્યને તકલીફ થતી હતી. ઉજવલા યોજનાના લાભ મળતા હવે સ્વાસ્થ્ય પણ સારું થયું છે અને સમયની પણ બચત થઈ છે. જે બદલ હું સરકારનો આભાર માનું છું.

ગામમાં બધાના પાકા ઘર હતા ત્યારે મને થતું કે, મારુ પાકું ઘર ક્યારે બનશે:લાભાર્થી રાજેશ પઢાર
અમદાવાદના બાવળા ખાતેના લાભાર્થી રાજેશ રૂપાભાઈ પઢારે જણાવ્યું કે, પહેલા અમે કાચા ઘરમાં રહેતા હતા. ગામમાં બધાના ઘર પાકા હતા. મારુ ઘર પાકું ક્યારે બનશે તે સપનું જોયું હતું. આ દરમિયાન પીએમ આવાસ યોજનાનો લાભ મળતા હવે હું પરિવાર સાથે પાકા ઘરમાં રહું છું. સરકાર દ્વારા દર મહિને ફ્રીમાં અનાજ પણ મળે છે. પહેલા આયુષ્યમાન કાર્ડ ન હોવાથી અમારા અનેક સ્વજનને ગુમાવ્યા હતા પરંતુ હવે આયુષ્યમાન કાર્ડ હોવાથી હવે માંદગીમાં જીવ બચાવી શક્યા છે.

હું મારા ગામની પ્રથમ આદિમજૂથની દીકરી છું જે બીએસસી કરી રહી છે:લાભાર્થી હિરલ જાદવ
ધરમપુરના બીલપુડી ગામના લાભાર્થી હિરલ હીરામલ જાદવે જણાવ્યું કે, હું મારા ગામની આદિમજૂથ સમુદાયની પહેલી દીકરી છું કે, જે બી.એસસી માઈક્રો બાયોલોજીનો મહેસાણા કોલેજમાં અભ્યાસ કરી રહી છું. હું આદિમજૂથની તમામ દીકરીઓને આગળ ભણવા માટે પ્રેરિત કરું છું. અમારા ગામમાં પાકા રસ્તા, વીજળી, આંગણવાડી, પાણી અને સરકારી દવાખાનાની સવલત છે. મારા પરિવારને પીએમ કિસાન યોજના હેઠળ વર્ષે રૂ. 6 હજારની સહાય મળે છે. જેનાથી સમૃદ્ધ ખેતી કરી આર્થિક રીતે પગભર બન્યા છે જે બદલ અમે સરકારશ્રીનો આભાર માનીએ છીએ.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!