રાજ્યકક્ષાના મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને વલસાડ ખાતે જિલ્લા કક્ષાનો મેગા જોબફેર યોજાયો: ૧૨૨૮ ઉમેદવારો પૈકી ૬૮૯ની પ્રાથમિક પસંદગી કરવામાં આવી

ગુજરાત એલર્ટ | વલસાડ
રાજ્યના યુવાનોને રોજગારીની પૂરતી તકો મળી રહે તે હેતુથી શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી કાંતિલાલ અમૃતિયાના અધ્યક્ષસ્થાને વલસાડ ખાતે જિલ્લા કક્ષાના મેગા જોબફેરનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા રોજગાર કચેરી વલસાડ અને નગર રોજગાર કચેરી ધરમપુરના સંયુક્ત યોજાયેલા રોજગાર ભરતી મેળામાં અંદાજિત ૨૪ જેટલી નામાંકિત કંપનીઓએ ભાગ લીધો હતો. વિવિધ કંપનીઓ દ્વારા ૨૦૦૦ જેટલી નોકરીઓ અને એપ્રેન્ટિશિપની જગ્યાઓ માટે ઉપસ્થિત રહેલા ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. કુલ ૧૨૨૮ હાજર ઉમેદવારોમાંથી ૬૮૯ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વેલ્સ્પન, અતુલ, હુબર અને રેમન્ડ જેવી વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓમાં નોકરી માટે પસંદગી પામેલા યુવાઓને ‘રોજગાર એનાયત પત્ર’ અર્પણ કરવામાં આવ્યા હતા. નોકરીના નિમણૂક પત્રો મળતા યુવાનોના ચહેરા પર ભારે ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો.

મંત્રીશ્રીએ રોજગાર મેળા દ્વારા ભરતી પામેલા અરજદારોને અભિનંદન પાઠવતા કહ્યું હતું કે, આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇનું સપનું ભારતને વિશ્વ ગુરુ બનાવવાનું છે. આ કાર્યમાં ઉદ્યોગનો મોટો સહયોગ રહેલો છે. તેથી યુવાઓએ રોજગારી મેળવી પોતાનું ભવિષ્ય સુરક્ષિત કરી ભારતના વિકાસમાં સિંહફાળો આપવો જોઈએ. આવા ભરતી મેળાઓ દરેક યુવાઓ માટે ખુબ જ મોટી રોજગારીની તક ઉભી કરે છે. કૌશલ્યલક્ષી રોજગારી માટે આ ઉત્તમ તક છે. યુવાઓને રોજગારી આપવા માટે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ સંશોધન દ્વારા વિવિધ યોજના અમલમાં મુકે છે. નોકરી મળ્યા બાદ યુવાઓએ પણ ખુબ જ નિષ્ઠાથી કામ કરવા જણાવ્યું હતું. મંત્રીશ્રીએ વિવિધ કંપનીના સ્ટોલની મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું.

સી. જે. દવે નાયબ નિયામકશ્રી (રોજગાર), સુરત દ્વારા રોજગાર ભરતી મેળાઓનું મહત્વ સમજાવી સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
ઉમરગામ ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર અને વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ દ્વારા કાર્યક્રમને અનુલક્ષીને પ્રાસંગિક ઉદબોધનો કરવામાં આવ્યા હતા, જેમાં તેઓએ રાજ્ય સરકારની રોજગારલક્ષી નીતિઓની જણાવી યુવાનોને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા અને માર્ગદર્શન પાઠવ્યું હતું.

કાર્યક્રમમાં વલસાડ તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ પટેલ, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશભાઈ પટેલ, એમ.સી. ગોહિલ, ડેપ્યુટી ડાયરેક્ટર, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરી, વલસાડ, વલસાડ જિલ્લા રોજગાર અધિકારી પારૂલ પટેલ, જી.એમ. ભૂટકા, આસિસ્ટન્ટ લેબર કમિશ્નર, વલસાડ, વિવિધ આઈટીઆઈના આચાર્યો, કંપનીના પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં રોજગારવાંચ્છુ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!