ગુજરાત એલર્ટ | વલસાડ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીગણ આજે ૧૨મી ચિંતન શિબિરમાં સહભાગી થવા માટે વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર આશ્રમ ખાતે આવી પહોંચતા ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.

‘સામૂહિક ચિંતનથી સામૂહિક વિકાસ’ની થીમ સાથે આયોજિત આ ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય મંત્રીમંડળના સભ્યો, મુખ્યસચિવ શ્રી મનોજ કુમાર દાસ સહિત ઉચ્ચ અધિકારીઓએ આજે વહેલી સવારે અમદાવાદ રેલવે સ્ટેશન ખાતેથી વંદે ભારત સુપરફાસ્ટ ટ્રેનમાં સામૂહિક પ્રવાસરૂપે વલસાડ જવા પ્રસ્થાન કર્યું હતું. વલસાડ રેલ્વે સ્ટેશન પર આગમન દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચાપલોત સહિત પદાધિકારીઓએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વોલ્વો બસ દ્વારા ધરમપુર આવી પહોંચ્યા હતા. જ્યાં આશ્રમના ગુરુજી રાકેશજીએ શાલ ઓઢાડીને આવકાર્યા હતા.

આશ્રમ શબિરાર્થી મહાનુભાવોને આવકારવા માટે શ્રીમદ્દ રાજચંદ્ર મિશનના પ્રેસિડેન્ટ શ્રી અભયભાઈ જસાણી, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી આત્મર્પિત નેમીજી, ટ્રસ્ટીશ્રી વિજયભાઈ રૂપાણી, રેન્જ આઈજી શ્રી પ્રેમવીરસિંગ, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યુવરાજસિંહ જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
