ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, કોલેજો અને Diploma in Elementary Education કોલેજોમાં વિદ્યાર્થીઓ દ્વારા વીર બાળ દિવસની ઉજવણીનો તા.૨૩/૧૨/૨૦૨૫ થી પ્રારંભ થયો છે, જે તા.૨૫/૧૨/૨૦૨૫ સુધી ચાલશે. શીખ ધર્મના દસમા ગુરૂશ્રી ગોવિંદસિંહજીના પુત્રો સાહિબજાદાઓના અદભુત શોર્ય અને બલિદાનની યાદમાં દર વર્ષે ૨૬મી ડિસેમ્બરે વીર બાલ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રના બાળકો અને યુવાનોમાં વીરતા, નૈતિક મૂલ્યો અને દેશભક્તિ વિકસાવવા, બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ ફેલાવી સાહસ અને આત્મ બલિદાનની પ્રેરણા આપવા સમગ્ર દેશમાં વીર બાલ દિવસની ઉજવણી જુસ્સાભેર કરવામાં આવી રહી છે.

વલસાડ જિલ્લાના બાળકો અને યુવાનોમાં વીરતા, સાહસ, દેશ માટે બલિદાન અને ગર્વની ભાવના જાગે તે માટે આજે તા. ૨૩ ડિસે.ના રોજ પ્રથમ દિવસે જિલ્લાની તમામ ૯૫૩ પ્રાથમિક શાળા અને ૧૫૭ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કોલેજો અને D.El.Ed કોલેજોમાં નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી. તા. ૨૪/૧૨/૨૦૨૫ નાં રોજ શાળાઓ દ્વારા પ્રભાતફેરી કાઢવામાં આવશે. પ્રાર્થના સભામાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર એવોર્ડની સકસેસ સ્ટોરી અંગે શિક્ષકો બાળકો સાથે ચર્ચા કરવામાં આવશે. આ સાથે જ વકૃત્વ સ્પર્ધા, ડ્રામા કોમ્પિટિશન, કવિ સંમેલન અને સાંસ્કૃતિક કાર્યક્રમ જેવી વિવિધ પ્રવૃતિ કરવામાં આવનાર છે.
