ગુજરાત એલર્ટ | વલસાડ
તાજેતરમાં પડેલા અતિભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ભવાડા જાગીરી ગામમાં શ્રી સોમલભાઈ જનકભાઈ રાડિયાનું ઘર સંપૂર્ણપણે ધરાશાયી થવાની દુઃખદ ઘટના બની હતી. આ વિકટ પરિસ્થિતિમાં કપરાડાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ અસરગ્રસ્ત પરિવારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના પાઠવી હતી. આ સાથે જ તેમણે રાજ્ય સરકારના નિયમો મુજબ મળવાપાત્ર રૂ. ૧.૮૦ લાખની આર્થિક સહાયનો ચેક પીડિત પરિવારને અર્પણ કર્યો હતો.

સંકટની આ ઘડીએ ધારાસભ્ય શ્રી જીતુભાઈ ચૌધરીએ અસરગ્રસ્ત પરિવારને હૈયાધારણા આપતા વિશ્વાસ અપાવ્યો હતો કે, રાજ્ય સરકાર દરેક જરૂરિયાતમંદ અને આપત્તિગ્રસ્ત પરિવારની પડખે મજબૂતાઈથી ઊભી છે. કુદરતી આપત્તિથી પ્રભાવિત દરેક પાત્ર લાભાર્થીને સમયસર યોગ્ય સહાય મળે અને તેમનું પુનઃસ્થાપનનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય તે માટે રાજ્ય સરકાર સતત સંવેદનશીલતાથી કાર્યરત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
