ગુજરાત એલર્ટ | વલસાડ
“જન્મદિવસની ઉજવણી ફક્ત કેક કાપવાથી નહીં, પરંતુ કોઈના જીવનમાં આશાનો દીવો પ્રગટાવવાથી પણ થઈ શકે”. આ ઉક્તિને સાર્થક કરી વલસાડના છીપવાડ વાવડીના શતક રક્તદાતાશ્રી મિતેશભાઈ (મોન્ટુ) ભંડારીએ પોતાના ૪૧મા જન્મદિવસે પરિવાર સાથે મળી ૧૨૭મું રક્તદાન કરી અનોખી રીતે જન્મદિવસ ઉજવ્યો હતો.
મિતેશભાઈમાં યુવાનીના દિવસોમાં સ્વ. પિતાશ્રી હર્ષદરાય ભંડારી અને કાકા કિરણભાઈ ભંડારીએ રક્તદાનના સંસ્કાર અને સેવાના બીજ વાવ્યા હતા. જેના પરિણામે મિતેશભાઈએ માત્ર ૧૯ વર્ષની ઉંમરે, વર્ષ ૨૦૦૪માં પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. ત્યારથી શરૂ થયેલી તેમની રક્તદાન સેવાયાત્રા આજે ૨૨ વર્ષ બાદ પણ અવિરત રીતે આગળ વધી રહી છે. મિતેશભાઈ ફક્ત નિયમિત રક્તદાન જ કરતા નથી, પરંતુ દર વર્ષે બે રક્તદાન શિબિરોનું આયોજન કરી સમાજમાં માનવસેવાની ભાવના પણ પ્રસરાવી રહ્યા છે. તેમની આ સતત સેવાકીય પ્રવૃત્તિ ખરેખર અભિનંદનીય અને યુવાનો માટે પ્રેરણારૂપ બની છે.
પિતાશ્રીના નિધન બાદ યોજાયેલી પ્રાર્થના સભામાં પણ મિતેશભાઈએ રક્તદાન શિબિરનું આયોજન કરી પોતે તેમજ પરિવારજનો સાથે રક્તદાન કરી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે તેમની માનવસેવા પ્રત્યેની ભાવના અને પરિવારના સંસ્કારો સ્પષ્ટપણે ઝળહળી ઊઠ્યા હતા.

વાવડી છીપવાડ વિસ્તારમાં મિતેશભાઈએ શતક રક્તદાતા ભીખુભાઈ ભાવસાર સાથે મળી ધૂળેટી અને ગણેશોત્સવ જેવા તહેવારો દરમિયાન રક્તદાન શિબિરો યોજી અનેક યુવાનોમાં રક્તદાન પ્રત્યે જાગૃતિ ફેલાવી છે. તેમના પ્રયાસોથી આજ વિસ્તારમાં અસંખ્ય યુવાનો નિયમિત રક્તદાન સાથે સમાજસેવાની સરવાણી વહાવી રહ્યા છે.
આજના ૧૨૭મા રક્તદાન પ્રસંગે મિતેશભાઈના પરિવારજનો અને બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લઈ જન્મદિવસની ઉજવણીને યાદગાર બનાવી હતી. પ્રસંગે વલસાડ રક્તદાન કેન્દ્ર પરિવારના સ્ટાફ તથા ટ્રસ્ટી મંડળ વતી ડો. વિશાલભાઈ મહેતાએ મિતેશભાઈને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી તેમની નિઃસ્વાર્થ રક્તદાન સેવાની પ્રશંસા કરી આભાર વ્યક્ત કર્યો હતો.
સમાજમાં આવા રક્તદાતાઓ જ માનવતાની સાચી ઓળખ બની અન્ય લોકોને પણ જીવનદાન માટે પ્રેરણા આપી રહ્યા છે.
