વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદને પગલે ૩૨૬ માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા: માર્ગ અને મકાન (પંચાયત) હસ્તકના ૩૧૩ અને રાજ્ય હસ્તકના ૧૩ માર્ગો વરસાદને કારણે અવરોધાયા: વરસાદની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંધ કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરવા અપીલ

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે વલસાડ જિલ્લાના અનેક સ્થળોએ પાણી ભરાવા, માર્ગ ધોવાઈ જવા તેમજ પુલ-કલ્વર્ટ ઉપરથી પાણી વહેવાના કારણે માર્ગ અને મકાન (પંચાયત) હસ્તકના ૩૧૩ અને માર્ગ અને મકાન (સ્ટેટ) હસ્તકના ૧૩ મળી કુલ ૩૨૬ માર્ગો બંધ કરવામાં આવ્યા છે.

પંચાયત માર્ગ અને મકાન વિભાગ, વલસાડ દ્વારા તમામ અસરગ્રસ્ત સ્થળોએ રસ્તાઓ બંધ હોવાની સૂચના દર્શાવતા બેરિકેડ્સ મૂકવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારની દુર્ઘટના ટાળી શકાય અને લોકો જોખમી માર્ગો પર અવરજવર ન કરે. વિભાગ દ્વારા વરસાદની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે તેમજ જ્યાં પાણીનું સ્તર ઘટી રહ્યું છે ત્યાં માર્ગોને વહેલી તકે ફરીથી વાહનવ્યવહાર માટે યોગ્ય (Trafficable) બનાવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ આ માટે સતત કાર્યરત છે.

જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી ભાવેશ પટેલના જણાવ્યા મુજબ, જિલ્લા વહીવટીતંત્ર અને પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે, વરસાદની સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંધ કરાયેલા માર્ગો પરથી પસાર થવાનો પ્રયાસ ન કરે, બેરિકેડ્સ દૂર ન કરે અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરે. જાહેર જનતાનો સહકાર સુરક્ષા અને રાહત કામગીરીને વધુ અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!