ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના ધમડાચી ખાતે શ્રી વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ અને શ્રી ચંદ્રમૌલિશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘૧૦મા સર્વજ્ઞાતિ સમુહલગ્ન’માં નાણાં, શહેરી વિકાસ અને શહેરી આવાસ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામોદ્યોગ વિભાગ મંત્રીશ્રી અને વલસાડના પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલે ૧૧૧ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. લોકસભા દંડક અને સાંસદશ્રી ધવલભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવદંપતિઓ અને પરિવારજનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આજના સમયમાં લગ્નપ્રસંગો ખર્ચાળ બની રહ્યા છે ત્યારે આવા સમુહલગ્નોનું અયોજન ખુબ જ સરાહનિય કાર્ય છે. આ નવદંપતિઓ સંસાર શરૂ કરી રહ્યા છે ત્યારે ભવિષ્યમાં તેમના માથે બોજો આવશે નહીં તેમજ તેઓ સરળતાથી જીવન વિતાવી શકશે.

પ્રભારીમંત્રીશ્રી નરેશભાઈ પટેલે પણ આર્શીવચનો પાઠવતાં કહ્યું હતું કે, મહાનુભાવો, સંતો અને સમાજસેવકોની હાજરીમાં લગ્ન થઈ રહ્યા છે ત્યારે નવદંપતીઓની પણ પરિવાર અને સમાજને સાથે લઈને ચાલવાની જવાબદારી બને છે. પરિવારોને પણ વિનંતી કરૂં છું કે તમરા ઘરમાં દીકરી આવી રહી છે તેવી ભાવનાથી જીવનભર ખુબ જ સાચવીને રાખજો. સમુહલગ્નના આયોજન બદલ તમામ આયોજકોને સમાજસેવાના મહત્વપૂર્ણ કાર્ય માટે અભિનંદન પાઠવું છું. કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્યશ્રી અને સમુહલગ્નના અયોજક ભરતભાઈ પટેલે સ્વગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા.
