ગુજરાત એલર્ટ | વલસાડ
નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે આદિજાતિ વિકાસ, ખાદી, કુટિર અને ગ્રામીણ ઉદ્યોગ તેમજ પ્રભારી મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં વલસાડ વહીવટી તંત્ર દ્વારા આયોજિત સશક્ત નારી મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેળામાં હસ્તકલા, ખાદ્યપદાર્થ, વનઔષધિ, કૃષિ, દૂધની બનાવટ, ક્રાફ્ટ, ખેતીવાડી, બાગાયત, સહિત સખી મંડળીના કુલ ૬૧ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
આ અવસરે નાણાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આત્મનિર્ભર ભારત બનાવવા માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રયત્નો કર્યા છે તેમા સંરક્ષણ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. સાથે રોજ વપરાશની વસ્તુઓનું સારી ગુણવત્તામાં ભારતમાં જ ઉત્પાદન અને તેની નિકાસ પણ થઈ શકે તેમજ આપણા સ્થાનિક કારીગરોને પ્રોત્સાહન અને રોજગારી મળે તે માટે તેમણે લખપતિ દીદી સહિત અનેક યોજનાની શરૂઆત કરી. મિશન લાઈફ મારફતે જાડા ધાન્યને પ્રોત્સાહન આપવાથી ખાદ્ય પદાર્થ ઉત્પાદન કરતા સ્વ સહાય જૂથોને પણ લાભ મળી રહ્યો છે.
મંત્રીશ્રીઓ અને મહાનુભાવોએ મેળાના વિવિધ સ્ટોલની મુલાકાત કરી નિદર્શન કર્યું હતું તેમજ સ્ટોલ ધારકો પાસેથી તેમની પ્રોડક્ટસ વિશે માહિતી પણ મેળવી તેમને પ્રોત્સાહન આપ્યું હતું. મંત્રીશ્રીના હતે જિલ્લાની લખપતિ દીદીઓનું પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વલસાડ ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ, કપરાડા ધારાસભ્યશ્રી જીતુભાઈ પટેલ, વલસાડ જિલ્લા કલેક્ટરશ્રી ભવ્ય વર્મા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, જિલ્લા સંગઠન પ્રમુખ હેમંત કંસારા, સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.
