ગુજરાત એલર્ટ | વલસાડ
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારનું ‘સેવા સેતુ’ અભિયાન લોકાભિમુખ અને સંવેદનશીલ પ્રશાસનનું ઉત્તમ ઉદાહરણ છે. જે અંતર્ગત આજરોજ નાનાપોંઢા ખાતે આદર્શ નઈ તાલીમ પ્રાથમિક શાળામાં ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અંદાજે ૮૦૦ જેટલા નાગરિકોના પ્રશ્નો અને રજૂઆતોને સાંભળવામાં આવી હતી.
ધારાસભ્યશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી કાર્યવાહી માટે માર્ગદર્શન પણ આપ્યું હતું. આ પ્રસંગે લાભાર્થીઓને સંબોધતા ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે, સરકારી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોંચે અને પ્રજાના પ્રશ્નોનું સમયસર તથા અસરકારક નિરાકરણ થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ કટિબદ્ધ છે.
