ઉમરગામમાં એસટી બસ સ્ટેશનનું નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે ખાતમુહૂર્ત કરાશે: રૂ.૩.૩૦ કરોડના ખર્ચે તૈયાર થનારા બસ સ્ટેશન પર મુસાફરો અને કર્મચારીઓ માટે વિવિધ સુવિધા ઉપલબ્ધ કરાશે

ગુજરાત એલર્ટ । વલસાડ
રાજ્ય સરકાર દ્વારા મુસાફર જનતાને વધુમાં વધુ એસટી બસો અને સુવિધા સભર એસટી ડેપો તેમજ બસ સ્ટેશન મળી રહે તે માટે અવિરત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત વલસાડ એસ.ટી.વિભાગના ઉમરગામ એસટી બસ સ્ટેશન ખાતે આર.સી.સી. ફ્રેમ સ્ટ્રકચરવાળા નવિન બસ સ્ટેશનનું રૂ. ૩૩૦.૦૯ લાખના ખર્ચે બાંધકામ થનાર છે. જેનું આજે તા. ૯ માર્ચના રોજ સવારે ૯ કલાકે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય કક્ષાના ગૃહ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે ખાતમુહૂર્ત વિધિ કરવામાં આવશે.

આ ખાતમુહૂર્ત સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી મનહરભાઈ પટેલ, વલસાડ-ડાંગના સાંસદશ્રી ડો.કે.સી.પટેલ, ઉમરગામના ધારાસભ્યશ્રી રમણલાલ પાટકર, કપરાડાના ધારાસભ્યશ્રી જીતુભાઈ ચૌધરી, વલસાડના ધારાસભ્યશ્રી ભરતભાઈ પટેલ અને ધરમપુરના ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે. આ નવીન બસ સ્ટેશન પર મુસાફર જનતા કર્મચારીઓ માટે વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. કુલ ૩૦૮૬.૦૦ ચો.મી જમીન વિસ્તાર પર નિર્માણ થનાર આ બસ સ્ટેશનમાં બાંધકામ વિસ્તાર ૪૫૨.૪૧ ચો.મી. છે. ચાર પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા માટેનો વેઈટીંગ હોલ, કંટ્રોલ રૂમ, સ્ટેન્ડ ઈન્ચાર્જ રૂમ, વોટર રૂમ, ઈલેક્ટ્રીક રૂમ, બે સ્ટોલ, ડ્રાઈવર કંડકટર માટે શૌચાલય સાથેનો રેસ્ટ રૂમ, મહિલા કર્મીઓ માટે લેડીઝ રેસ્ટરૂમ/ બેબી ફીડીંગ રૂમ શૌચાલય સાથે, મુસાફર જનતા માટે સ્ત્રી અને પુરૂષ શૌચાલય, સરકયુલેશન વિસ્તારમાં સી.સી. ટ્રી-મીક્ષ ફલોરીંગ અને વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પે. પ્રકારના શૌચાલય તથા સ્લોપીગ રેમ્પની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!