વલસાડમાં સેવાભાવી અગ્રણી બિલ્ડર પિંટુભાઈ વશીનું હાર્ટએટેકથી અવસાન

ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડના મળતાવડા સ્વભાવનાં અગ્રણી બિલ્ડર પીન્ટુભાઇ ઉર્ફે પુરંજયભાઈ વશીને આજે સવારે હાર્ટએટેક આવતા થયેલાં અવસાનથી તેમના મિત્રવર્તુળ સહિતના લોકો ઘેરા આઘાતમાં સરી પડ્યા છે. તેમની અંતિમયાત્રા શુક્રવારે સવારે લઈ જવામાં આવશે.
વલસાડમાં ખૂબ મોટું નામ ધરાવતા શિવમ ડેવલોપર્સના બિલ્ડર એવા ૪૭ વર્ષીય પુરંજયભાઈ ઉર્ફે પીન્ટુભાઇને આજે સવારે 9 વાગ્યાની આસપાસ તેમના વલસાડનાં હાલર સ્થિત ઘરે હૃદયરોગનો હુમલો આવ્યો હતો. જેની સ્વજનોને જાણ થતા તેમને વલસાડના ડોક્ટર હાઉસમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તબીબોએ પ્રયત્ન કર્યા હતાં પરંતુ પીન્ટુભાઇનું અવસાન થયું હતું.
ખૂબ જ મળતાવડા સ્વભાવના અને દરેક સારા કાર્યોમાં દાન-હાજરી આપી સતકાર્યોની સુવાસ ફેલાવનારા પીન્ટુભાઇના અચાનક અવસાનથી વલસાડના બિલ્ડરો, સેવાભાવી સંસ્થાનાં સંચાલકો, અગ્રણીઓ સૌ કોઈ આઘાતમાં સરી પડ્યા હતા. તેમના અવસાનના સમાચાર મળતા જ નિવાસસ્થાને ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. જોકે પીન્ટુભાઇના ભાઈ સ્વ. સેજુભાઈ વશીના પુત્રી હરિની યુએસએ હોય તેઓ આવતીકાલે સાંજે યુએસએથી ભારત આવી જાય ત્યારબાદ પીન્ટુભાઇની શુક્રવારે સવારે અંતિમયાત્રા લઈ જવામાં આવશે. પીન્ટુભાઇ હાલ તેમના બે પુત્રો નંદીશ અને હવિસને એકલાં છોડી ગયા છે.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!