ગુજરાત એલર્ટ | વલસાડ
સરકારી પોલીટેક્નીક, વલસાડના હીરક મહોત્સવનો સમાપન સમારોહમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલન અને સ્મરણીકાનું વિમોચન થયું.
રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ, વિશ્વ કોમ્પ્યુટર સાક્ષરતા દિવસની ઉજવણી સાથે સરકારી પોલીટેક્નીક વલસાડના હીરક મહોત્સવના સમાપન સમારંભ પ્રસંગે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વય નિવૃત સ્ટાફ, બદલી થયેલા સ્ટાફની ઉત્સાહજનક હાજરીમાં પુન: મિલન સહ સ્નેહમિલન કાર્યક્રમમાં બહોળી સંખ્યામા ઉપસ્થિતિ ઐતાહાસિક આનંદની બાબત બની હતી.
૧૯૬૫માં સ્થાપિત થયાના વર્ષથી જ સુંદર, શાંત, સમ્રુધ્ધ, સહકારી અને સહ્રદયી અને સકારાત્મકના સંસ્કાર સિંચન કરનાર સરકારી પોલીટેક્નીકની હીરક મહોત્સવ ઉજવણી એક વર્ષ સુધી સતત કરવામાં આવી અને આ છ દાયકાની ગૌરવવંતી યાદોને ચંદન સ્ટીલ,ઉમરગાંવના ડાયરેક્ટર શ્રી ગૌરીશંકર પારીક, દેસાઇ કન્સટ્રક્શનના શ્રી મહેન્દ્ર દેસાઇ અને લ્યુનાર મોટર્સના શ્રી વસંત પટેલ દ્વારા સ્મરણિકાનું વિમોચન અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ૧૯૬૫ની પ્રથમ બેચમાં પ્રવેશ મેળવનાર સહિત અલગ અલગ વર્ષમાં કોલેજના વિવિધ ઇજનેરી અભ્યાસ કરનાર ૧૫૦ થી વધુ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિદેશથી, રાજકોટ સહિત દૂર દૂરના વિસ્તારોમાંથી ઉપરાંત આચાર્ય, સ્ટાફ કોલેજની પુન: મુલાકાતે આવ્યા હતા. તેમણે સમગ્ર દિવસના વિવિધ આયોજનોમાં ઉમળકાભેર ભાગ લીધો હતો અને પોતાની જે તે સમયની યાદ પુન:જીવીત કરી હતી.
કાર્યક્રમનું સંચાલન શ્રીમતિ અંજુ શર્મા, નિભા ઠાકોર, અવની ઠાકોર અને પ્રતીક ગાવીત દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધિ કોલેજના એન.એસ. એસ.ના કોઑર્ડીનેટર શ્રી એન. જી. પટેલ દ્વારા કરવામાં આવી હતી.
કોઈ પણ દાન તેને પ્રાપ્ત કરનારના જીવનમાં ઉજાસ આપેજ છે: દાતા વસંત પટેલ
કોલેજના આચાર્ય શ્રીમતિ રીકુ શુક્લાએ અભ્યાસ માટે રૂચિ હોવા છતાં માત્ર સગવડ કે સંશાધનના અભાવે કોઇપણ વિદ્યાર્થીને તેનો અભ્યાસ ન મુકી દેવો પડે તે સુનિશ્ચિત કરવાની આપણા સૌની સામુહિક સામાજીક જવાબદારી છે એમ કહ્યું હતું.
ડૉ. અમિત ધનેશ્વરે જણાવ્યું કે સમગ્ર વર્ષ દરમિયાન હીરક મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિ પ્રણાલીને કેન્દ્રમાં રાખી કેમ્પસને નયનરમ્ય બનાવવા સુવિધાઓ અને ખાસ કરીને કેમ્પસ વિદ્યાર્થીની અપેક્ષા પ્રમાણે આધુનિક, આઇકોનિક અને આકર્શક એટલે કે સેલ્ફી અને રીલ માટે અનુરૂપ બનાવવાના પ્રયાસને દાતાઓની ઉદારતાના કારણે સફળતા મળેલ છે.
શ્રી ગૌરીશંકરે તેમના વક્તવ્યમાં જણાવેલ કે ૬૦ વર્ષની ઉપલબ્ધિ ખુબજ વિશેષ છે અને આપ સૌએ મહાભારતના શ્રીકૃષ્ણની જેમ હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સખા ભાવથી સંસ્થા ખાતે સુવિધાઓ વધે તે માટે યોગદાન આપેલ છે જે અમુલ્ય છે. અધિકાંશ ધાર્મિક પરંપરાઓ વ્યક્તિની આવકનો એક દશાંશ ભાગ દાન કરી દેવાનો આદેશ આપે છે.
શ્રી વસંત પટેલે તેમના ઉદબોધનમાં ઉલ્લેખ કરેલ કે આપ સૌ પાસે કોઇ પણ પ્રકારે દાન કરવાની તક છે તેનો ઉપયોગ કરો અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં સહભાગી બનશો તો પણ આનંદની અનુભુતિ થશે. વધુમાં તેમણે દાનને વ્યાપક અર્થમાં સમજાવતા કહેલ કે દાન કોઇ પણ સ્વરૂપે હોય તે મેળવનાર માટે મુલ્યવાન જ રહેવાનું છે. ભલે તે સમયનું, સમજણનું, સૌખ્યનું, જ્ઞાનનું, અનુભવનું, આશીર્વાદનું, શુભેચ્છાનું, અન્નનું, આશ્રયનૂં, આર્થીક સહયોગનું હોય તે દાન પ્રાપ્ત કરનારના જીવનમાં ઉજાસ આપેજ છે.
