ગુજરાત એલર્ટ | વલસાડ
વલસાડ જિલ્લાનાં ભાગડાવડા અને ટૂકવાડા ગામ ખાતે બાળકોને સુવિધાયુક્ત અને સુરક્ષિત વાતાવરણમાં પ્રાથમિક શિક્ષણ, પોષણ અને સંભાળ મળી રહે તે હેતુથી અતુલ ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત આંગણવાડી કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
ભાગડાવડા ગામે તીથલ રોડ પર સરકારી વસાહતમાં નવનિર્મિત બે આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી હેતલબેન પટેલનાં શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અતુલ કંપનીનાં જનરલ મેનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈ, અતુલ ફાઉન્ડેશનનાં અધિકારીઓ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, ગામનાં સરપંચશ્રી ધર્મેશભાઈ પટેલ, ગામનાં ઉપસરપંચશ્રી, તલાટીશ્રી , આંગણવાડી કાર્યકર બહેનો, વાલીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીમતી હેતલબેન પટેલે જણાવ્યું હતું કે આંગણવાડી આપણા ગામના નાનકડા બાળકોના ભવિષ્યનું પ્રથમ પગથિયું છે. અહીં બાળક શિક્ષણની સાથે સંસ્કાર, પોષણ, સ્વચ્છતા અને જીવનના પ્રાથમિક પાઠ શીખે છે અને આગળ વધે છે.તેથી આંગણવાડીનું સુવિધાસભર અને સુરક્ષિત હોવું ખૂબ જ મહત્વનું છે.આ આંગણવાડીનું મકાન લાંબા સમયથી જર્જરિત હાલતમાં હતું. બાળકોને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે તેનું નવીનીકરણ કરવું જરૂરી હતું. જે ધ્યાનમાં રાખીને અતુલ ફાઉન્ડેશન દ્વારા પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપે આ આંગણવાડીઓનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. તેની જાળવણી કરવાની આપણી ફરજ છે.
અતુલ કંપનીનાં જનરલ મેનેજર શ્રી ગૌતમભાઈ દેસાઈએ જણાવ્યું કે આંગણવાડી કેન્દ્ર માત્ર બાળકોના શિક્ષણ માટેનું સ્થળ નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને આરોગ્ય માટે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.નવા આંગણવાડી કેન્દ્રમાં બાળકોને જરૂરી પાયાની સુવિધાઓ તથા અભ્યાસ અને રમતગમત માટેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધાના કારણે ગામના નાના ભૂલકાઓને વધુ સારું અને સુવિધાયુક્ત વાતાવરણ મળશે જે તેમના સર્વાંગી વિકાસમાં મદદરૂપ થશે.
આ પ્રસંગે સરપંચશ્રી,ઉપસરપંચશ્રી,આંગણવાડીની બહેનો, ગામનાં આગેવાનો તથા ગ્રામજનો દ્વારા નવનિર્મિત આંગણવાડીની ભેટ બદલ અતુલ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ આંગણવાડી કેન્દ્રનો યોગ્ય ઉપયોગ અને જાળવણી કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સૌ સાથે મળીને કાર્ય કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
