આહવા એસટી ડેપો ખાતે માર્ગ સલામતી સપ્તાહ સાથે ‘ડાયવર્સ ડે’ યોજાયો

ગુજરાત એલર્ટ । વલસાડ
જાહેર મુસાફર જનતાને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પ્રતિદિન પહોંચાડતા અને પોતાના ઘર/કુટુંબથી દૂર રહી મુસાફર માટે રાત દિવસ સેવારત રહેતા એસ.ટી. વિભાગના ડ્રાયવરોની સેવાને બિરદાવવા આહવા એસટી ડેપો ખાતે ‘ડાયવર્સ ડે’ ઉજવાયો હતો.
માર્ગ ઉપર વધતી વાહનોની સંખ્યા, ગતિ, અકસ્માતો વિગેરે સામે સભાનપણે મુસાફર જનતાને સહી સલામત તેમની મંઝિલ સુધી પહોંચાડતા એસ.ટી. નિગમના ડ્રાયવરોની કદર કરવાના તથા તેમના પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી હતી. ડેપો મેનેજર કિશોરસિંહ પરમાર તથા ARTO સી.પી.પટેલ, આહવાના તબીબો સર્વ ડો. રાજુભાઈ ગાંધી અને ડો.એ.જી.પટેલ તથા મહાનુભાવોએ નિગમના ડ્રાયવરોની સેવાઓ પ્રત્યે આમ જનતામાં પણ જાગૃતિ ફેલાઈ તથા ડ્રાયવરોનો ઉત્સાહ અને તેમની ગરિમા વધે તે માટેના નિગમના પ્રયાસોની સરાહના કરી હતી. કાર્યક્રમના ભાગરૂપે ડ્રાયવરોની જાહેર સેવામાં ભૂમિકા આપાતકાલીન સ્થિતિમાં હાથ ધરવાની કાર્યપદ્ધતિ, આમજનતા અને સાથી કર્મચારીઓ સાથેનો વ્યવહાર, પ્રજાજનો પાસેથી અપેક્ષા, વાહનની સ્વચ્છતા અને મુસાફરોની સલામતી બાબતે મહાનુભાવોએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

માર્ગ સલામતી સપ્તાહ સાથે સંયુક્ત રીતે આયોજિત આહવા ખાતેના ‘ડાયવર્સ ડે’ ના કાર્યક્રમ દરમિયાન નિગમના ઉપસ્થિત ડ્રાયવરોનું જાહેર અભિવાદન કરી સૌએ સંનિષ્ઠ સેવાઓ બાબતે શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમમાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર દોડીયા, પોલીસ અધિકારીઓ, નિગમના કર્મચારીઓ અને મુસાફર જનતા ઉપસ્થિત રહી હતી.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!