ગુજરાત એલર્ટ | વલસાડ
બેંક ઓફ બરોડા (લીડ બેંક) દ્વારા વલસાડ જિલ્લાના વિવિધ બેંકોમાં રહેલાં નિષ્ક્રિય (DEAFund/Dormant) ખાતાઓ અંગે જાગૃતિ લાવવા માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પ્રણવ વિજયવર્ગીય (આઇ.એ.એસ), પ્રાયોજના વિભાગ, વલસાડ, સ્ટેટ બઁક ઓફ ઈન્ડિયા ના જનરલ મેનેજર અતુલ રાઠી, બેંક ઓફ બરોડાના ઉપક્ષેત્રિય પ્રબંધક અરુણ પ્રતાપસિંહ, રણજીત કુમાર ક્ષેત્રિય પ્રબંધક, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ગુજરાત ગ્રામીણ બેંકના ક્ષેત્રિય પ્રબંધક ચંદ્ર મોહન સૈની તથા મહાદેવભાઈ દેસાઇ, ચેરમેન અનાવિલ સેવા સંસ્થાપન ટ્રસ્ટ ઉપસ્થિત રહ્યા તથા વલસાડ જિલ્લાના તમામ રાષ્ટ્રીયકૃત બૅન્કોના કર્મચારીઓ અને અન્ય વિતીય સંસ્થાના કર્મચારીઑ ઉપસ્થિત રહ્યા હતા.

આ કેમ્પનો મુખ્ય હેતુ જિલ્લાની વિવિધ બેંકોમાં રહેલાં નિષ્ક્રિય ખાતાધારકોને પોતાના ખાતાઓ ફરી સક્રિય કરવાની પ્રક્રિયા અંગે માહિતગાર કરવાનો અને ગ્રાહકોને તેમની બેંકિંગ સેવાઓનો લાભ સતત મળતો રહે તે સુનિશ્ચિત કરવાનો હતો. ભારત સરકાર અને આરબીઆઈ દ્વારા, ૧ ઓક્ટોબર, ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધી દેશભરમાં એક ખાસ જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. આ અભિયાનના ભાગ રૂપે, છેલ્લા 10 વર્ષથી વ્યવહાર ન કરાયેલા ખાતાઓમાં જમા રકમ આરબીઆઈના “ડિપોઝીટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડ” (DEAFund) માં ટ્રાન્સફર કરવામાં આવી છે.
કેમ્પ દરમિયાન ગ્રાહકોને તેમના ખાતાઓ નિયમિત રીતે સંચાલિત રાખવા, સમયાંતરે લેવડદેવડ કરવા અને બેંકિંગ વ્યવહારોમાં સક્રિય રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ પહેલ દ્વારા જિલ્લા સ્તરે બેંકિંગ જાગૃતિમાં વધારો થશે અને ગ્રાહક સેવા વધુ મજબૂત બનશે, જે વલસાડ જિલ્લામાં નાણાકીય સમાવેશના ધ્યેયને સિદ્ધ કરવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.
